તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ

વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ થયા છે. તેની સાથે સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂ થશે. અમદાવાદ ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPC ની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે, તેમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી થઈ છે, જે અરજી પેન્ડિંગ છે.

2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 08 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા છે. FSLના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા. અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં ACP એસ.જે.મોદી ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક-પોલીસ ઇન્સ્પેકટર વી.બી.દેસાઈ, જેઓ આ કેસમાં ફરિયાદી પણ છે, તેમણે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની તપાસ કુલ 17 પોલીસકર્મચારી ટ્રાફિકના અધિક પોલીસ કમિશનર એન. એન.ચૌધરીના માર્ગદર્શન નીચે થઈ હતી, જેમાં ACP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે સામેલ છે. આ અકસ્માતમાં 9 લોકોનાં મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયાંને 2 વર્ષ પૂર્ણ થયાં છે. આરોપી સામે IPC 304 લાગે કે 304 A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે, જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયાં હતાં.

જો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની પર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત્ રાખી હતી. વળી, પીડિતોએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યારસુધીમાં બે વખત હંગામી જામીન પર પોલીસજાપતા સાથે બહાર આવેલો છે, જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી, જોકે તેને તેની પર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. એને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતાં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. 19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તે હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *