ગાંધીનગર,
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવા સંકેતો સુત્રો દ્વારા મળી રહ્યા છે. સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક બે દિવસમાં ગાંધીનગર આવી જવાની સૂચના આપી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે.
ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતમાં 1995થી સતત ભાજપ સત્તાસ્થાને છે. 2001મા નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી હતી. પરંતુ 2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આવતીકાલે શુક્રવારે (17 ઓક્ટોબર) બપોરે 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં રાજ્યપાલ દ્વારા મંત્રીમંડળ વિસ્તરણની શપથવિધિ યોજાશે. આ વિસ્તરણમાં 10થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળશે, જ્યારે 6થી 6 જૂના મંત્રીઓને મંત્રીપદમાંથી વિદાય લેવી પડશે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની તાજેતરની મેરેથોન બેઠકો પછી આ નિર્ણય નક્કી થયો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રાજ્ય પ્રમુખ સી.આર. પટેલની હાજરી હતી.
આ વિસ્તરણ લોકસભા ચૂંટણી 2029ને અનુલક્ષે ભાજપની તૈયારીનો ભાગ છે, જેમાં યુવા ચહેરાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપીને પાર્ટીની છબીને તાજી કરવામાં આવશે. રાજ્ય ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, આ નિર્ણય પાર્ટીની વ્યૂહરચનાનો ભાગ છે, જે રાજ્યના વિકાસને વેગ આપશે. આ વિસ્તરણથી રાજ્યમાં રાજકીય હલચલ વધી જશે, અને તેની અસર 2029ની ચૂંટણીઓ પર પડશે.
સંભવિત નવા ચહેરાઓ અને વિદાયના નામો: સુત્રો
- સૌરાષ્ટ્રમાંથી : જયેશ રાદડિયા, મહેશ કસવાલા અને હિરા સોલંકીને સ્થાન મળશે. કોળી સમાજમાંથી પુરુષોત્તમ સોલંકીને બદલે
- હિરા સોલંકીને તક મળશે. રિવાબા જાડેજા, સંજય કોરડિયા અને ઉદય કાનગડ પણ મજબૂત દાવેદારો છે.
- કચ્છમાંથી : અનિરુદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરીને મંત્રીપદ મળી શકે છે.
- ઉત્તર ગુજરાતમાંથી : શંકરભાઈ ચૌધરી અને સી.જે. ચાવડાના નામ મોખરે છે.
- મધ્ય ગુજરાતમાંથી : પંકજ દેસાઈ અને કેયુર રોકડિયાને તક મળશે.
- દક્ષિણ ગુજરાતમાંથી : દર્શના દેશમુખ, ચૈતન્યસિંહ ઝાલા, નિમિષા સુથાર, સંગીતા પાટીલ અને સંદિપ દેસાઈના નામો ચર્ચામાં છે.
- અમદાવાદમાંથી: અમિત ઠાકર, પાયલ કુકરાણી અને દર્શનાબેન વાઘેલાને મંત્રીપદ આપવામાં આવી શકે છે.
જ્યારે મંત્રી મંડળનું વિસ્તરણ થશે ત્યાર બાદ તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવશે અને ત્યાર બાદ કેબિનેટની બેઠક મળશે તેમ સુત્રોએ જણાવ્યું છે. સપ્તાહના અંતે વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક બોલાવાશે.

