અમદાવાદ,
દેશના અનેક રાજ્યો સહીત ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો માટે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
કમોસમી વરસાદ પછી રાજ્યમાં ખેડૂતોને સહાય આપવાને લઈને ઘમાસાણ મચ્યું છે. એક તરફ સરકાર તરફથી મંત્રીઓ જાહેરાત કરીને કહી રહ્યાં છે કે ટૂંક જ સમયમાં ખેડૂતો માટે સહાય પેકેજની ઘોષણા કરવામાં આવશે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ સરકાર પર પોતાના પ્રહારો શરૂ રાખ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર તીખા પ્રહાર કરતાં ખેડૂતોને ઝડપી સહાય આપવાની માગ કરી છે. આ સાથે જ કોંગ્રેસની આક્રોશ રેલીની જાહેરાત કરી છે. સોમનાથથી દ્વારાકા સુધીમાં આક્રોશ રેલી કાઢવામાં આવશે. જે રેલીમાં ખેડૂતોના મુદ્દાઓને આવરી લેવામાં આવશે.
આ મુદ્દાઓને લઈને કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ના રોજ, સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી ‘ખેડૂત આક્રોશ યાત્રા’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રની સાંકળી લઈને દ્વારકા ખાતે પૂર્ણાહુતિ કરશે. આ યાત્રા 1 થી 13 નવેમ્બર સુધી ચાલશે, જેમાં તમામ કલેક્ટર કચેરીઓનો ઘેરાવો અને પદયાત્રાઓનો સમાવેશ થશે. આ પગલું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પત્ર અને કૃષિ મંત્રીના નિવેદન પછી વધુ તીવ્ર બની રહ્યું છે, જેમાં 42 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનનો ઉલ્લેખ છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન પર રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભૂપેન્દ્ર પટેલ સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તે ઉપરાંત તેમણે ખેડૂતોની આત્મહત્યા વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે. આ દરમિયાન તેમણે ખેડૂતોને આત્મહત્યાનું પગલું ન ભરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તમારા માટે આપણે બધા મળીને સંઘર્ષ કરીશું પરંતુ આત્મહત્યાનું પગલું ન ભરો. તેમણે સરકારને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા, પાક વીમા યોજના પુનઃચાલુ કરવા અને વ્યાપક વળતર આપવાની માંગ કરી છે. ગોહિલે કહ્યું કે, “સમગ્ર દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના ચાલે છે, પરંતુ ગુજરાતમાં તે બંધ કરી દેવામાં આવી છે. આવું કેમ?”
તેમજ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલ પર પણ સવાલ ઉભા કર્યા અને કહ્યું કે, “આ યોજના અમલમાં આવશે તેવું કહેવામાં આવે છે, પરંતુ એક પણ ખેડૂતને તેનો લાભ નથી મળ્યો. આ સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતો માટે કોઈ રક્ષણ નથી રહ્યું.” તેમણે સરકારને જવાબદારી સ્વીકારવા અને કોઈ નાટક વગર વળતર આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, “જેટલું જેનું નુકસાન તેને તેટલું વળતર આપવામાં આવે. સર્વેનું એક નાટક ચાલે છે, જે કરનારા અધિકારીઓ છે, ખેડૂતો નહીં. સહાયના નામે લોલીપોપ ન આપો,” એમ તેમણે સરકારને ખૂલ્લો પડકાર ફેંક્યો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, દિવાળી પછી સતત પડેલા વરસાદે મોઢા પાસે આવેલું કોળિયું છીનવી લેતા ખેડૂતોનું મનોબળ તૂટી ગયું છે. તેથી તેઓ આત્મહત્યા તરફ વળ્યાં છે. તેમણે કહ્યું તે, ખેડૂતો માટે આવો કપરો સમય ક્યારેય આવ્યો નથી. આ દરમિયાન તેમણે વિનંતી કરી છે કે આત્મહત્યા ન કરો.

