અમદાવાદ
અમદાવાદના સૌથી જાણીતા એવા રતનપોળમાં કુર્તા અને શેરવાનીની દુકાનમાં રાતે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર
બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની ભારે જેહમત બાદ સંપૂર્ણપણે
આગ કાબૂમાં આવી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. દુકાનમાં કુર્તા અને શેરવાનીનો
મોટા પ્રમાણમાં જથ્થો હતો. જે બળીને ખાખ થઈ ગયો છે. ફાયર અને પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે 14 ડિસેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને
કોલ મળ્યો હતો કે, શહેરના હાથીખાના વિસ્તારમાં રતનપોળમાં આવેલી એક દુકાનમાં આગ લાગી છે, જેના પગલે ફાયરબ્રિગેડની બે
ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચતા જીલ એન્ટરપ્રાઇઝ નામની કુર્તા અને શેરવાનીની
દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે વધુ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા અને કુલ 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળ
પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. કુર્તા અને શેરવાનીની
હોલસેલની દુકાન હતી જેના કારણે મોટા પ્રમાણમાં આગ ફેલાઈ ગઈ હતી. દુકાનમાં રહેલો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો
હતો. આગના કારણે આજુબાજુ ની દુકાનમાં પણ આગ ન ફેલાય તેને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી હતી જોકે રતનપોળ
વિસ્તાર ખૂબ સાંકડો હોવાના કારણે પણ મીની ફાઈટરની મદદ લેવી પડી હતી. ગાડીઓ બહાર રાખી અને પાઇપ અંદર દુકાન સુધી
ખેંચીને આગને કાબુમાં લેવી પડી હતી. એક કલાક બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી. આગની ઘટનામાં કોઈ પણ
પ્રકારની જાનહાનિ થઈ નથી.

