કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ
મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને જાણીતા કલાકારોનો લોક ડાયરો પણ યોજાયો હતો. ત્યારે મહોત્સવના ભાગરૂપે
નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ચોર ઇસમે બે મહિલાના ગળામાંથી રૂ. 3.50 લાખની કિંમતના બે
સોનાનાં દોરાની ચિલઝડપ તેમજ અન્ય લોકોના ખિસ્સા કાપ્યા હોવાની પણ ઘટના કલોલ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધવામાં
આવી છે. છત્રાલ ભગત નિવાસ સોસાયટીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધા હસુમતીબેન ગોવિંદભાઈ ધનજીદાસે નોંધાવેલી ફરિયાદ
મુજબ, ગત 4 ડિસેમ્બરના રોજ સવારે નવેક વાગ્યે ગામમાં શોભાયાત્રા શરૂ થઈ હતી. આશરે 11 વાગ્યાની આસપાસ તેમના ઘર
પાસેથી શોભાયાત્રા નીકળી ત્યારે તેઓ પણ તેમાં જોડાયા હતા. આ દરમિયાન આશરે 11.30 વાગ્યે શોભાયાત્રા દુધસાગર ડેરી નજીક
આવેલા હરસિદ્ધ માતાના મંદિર પાસે પહોંચી, ત્યારે હસુમતીબેનને ખ્યાલ આવ્યો કે તેમના ગળામાં પહેરેલી બે લાખની કિંમતની
આશરે બે તોલાની સોનાની મગમાળા ગાયબ છે. જેથી તેમણે ભીડની વચ્ચે શોધખોળ આદરી હતી. એવામાં તેમને જાણવા મળ્યું હતુ
કે, આ જ શોભાયાત્રામાં ગાયત્રી સોસાયટીમાં રહેતા પન્નાબેન અરવિંદભાઈ પટેલના ગળામાંથી પણ દોઢ લાખની કિંમતનો સોનાના
દોરાની ચિલઝડપ થઇ છે. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના રોકડા રૂપિયા પણ ચોરાયા હોવાની બુમરાણ ઉઠી હતી. આ અંગે કલોલ
તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલના છત્રાલમાં નીકળેલી યાત્રામાં બે મહિલાના ગળામાંથી 3.50 લાખના બે સોનાનાં ચેઈનની ચીલઝડપ

