વીરપુર,
સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિરપુર ધામ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યું હતું. શોભાયાત્રા વિરપુરના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં સાધુ-સંતો અને હજારો ભાવિકો જોડાયા હતા.
જલારામ બાપાને અર્પણરૂપે 226 કિલો બુંદી-ગાંઠિયાનો પ્રસાદ તૈયાર કરાયો હતો અને તે પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવ્યો હતો. કારણ કે પૂજ્ય જલારામબાપાએ લગભગ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી. શોભાયાત્રામાં પૂજ્ય બાપાના જીવન પ્રસંગોને દર્શાવતી ઝાંખીઓ પણ રજૂ કરાઈ. સમગ્ર વિરપુર ધામ આ પ્રસંગે ભક્તિ અને આનંદના રંગોમાં રંગાઈ ગયું હતું.
જલારામ બાપાની 226મી જન્મજયંતિને નિમિત્તે ગુજરાત સહિતના અનેક શ્રદ્ધાળુઓ બાપાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી. વહેલી સવારે પૂજા-આરતી ઉતારીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
વીરપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મંદિર જલારામ બાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોએ ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓેએ કહ્યું કે, ‘બાપાના જન્મદિવસ પર ખાસ દર્શાનાર્થે આવ્યા છીએ. અહીં દર્શન શાંતિથી કરવા મળે છે અને જલારામ બાપાના દર્શન થયા એનો અનેરો આનંદર છે.’

