ત્રિપુરાના ધારાસભ્યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

ત્રિપુરાના ચાર ધારાસભ્યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અન્વયે આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. વિધાનસભા ખાતે ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્રિપુરાના ધારાસભ્ય સર્વે શ્રી સ્વપ્ના દેબબર્મા, શ્રી માનબ દેબબર્મા, શ્રી રામુ દાસ અને શ્રી નયન સરકાર સહિત કુલ ૧૧ સભ્યોને વિધાનસભા ખાતે ચાલતી વિવિધ કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન ત્રિપુરાના ધારાસભ્ય શ્રી સ્વપ્ના દેબબર્મા ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન લાયબ્રેરીની સુવિધા સહિતના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું હતું કે, અત્રે મેળવેલા માર્ગદર્શન થકી ત્રિપુરા વિધાનસભા ખાતે લાઇબ્રેરીના અપગ્રેડેશન સહિત અન્ય જરૂરી સુધારાઓ કરવામાં આવશે.

વિધાનસભા મુલાકાત દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત લાઇબ્રેરી, પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્રની કામગીરી, મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ વિશે અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા, નાયબ સચિવ શ્રી દિનેશ ચૌધરી સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ પાંચ દિવસ માટે ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *