મહાન વ્યક્તિઓ કોઈ નિશ્ચિત જગ્યાએ જન્મ લેતા નથી પરંતુ તેઓ સામાન્ય જગ્યાને તેમના કાર્યોથી મહાન બનાવે છે. – : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર દુનિયા યાદ કરે છે. 

રાજ્યપાલશ્રીએ મહાપુરુષોના ઉદાહરણ આપતા વિદ્યાર્થીઓને કહ્યું કે, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન, ભારતના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનમાં પરિશ્રમનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ તમામ પોતાના વિદ્યાર્થીકાળમાં કરેલી મહેનત થકી સફળ બન્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાના અનેક દેશોનું સન્માન મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. 

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ગરીબી અને અભાવ એ મહેનત કરનારા લોકો માટે ક્યારેય અડચણરૂપ નથી..મહાન વ્યક્તિઓ કોઈ નિશ્ચિત જગ્યાએ જન્મ લેતા નથી પરંતુ તેઓ સામાન્ય જગ્યાને તેમના કાર્યોથી મહાન બનાવવાનું કાર્ય કરે છે. આવા મહાપુરુષોના વિચારો અને દિવ્યતા લોકોમાં એક વિલક્ષણ ભાવ જગાવે છે.

વિદ્યાર્થીઓને જીવનના નૈતિક મૂલ્યો અંગે રાજ્યપાલશ્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને ક્યારેય પણ કોઈ કામ પ્રત્યે ભય, લજ્જા કે પછી શંકાનો ભાવ દેખાતો હોય તો એ કામ ન કરવું જોઈએ. વિધાર્થીઓએ જીવનમાં ક્યારેય પણ ભૂલ ન કરવી જોઈએ, પણ જો કદાચ ભૂલ થઈ જાય તો એ ભૂલને છુપાવવાને બદલે પોતાના માતા- પિતા ગુરુ કે ઘરના વડીલને તેની અવશ્ય જાણ કરવી જોઈએ.

વિદ્યાર્થીકાળમાં શારીરીક સ્વાસ્થય મજબૂત રહે તે માટે યોગ, પ્રાણાયમ કરવા પર ભાર મુકી જંકફૂડથી દૂર રહી ઘરનું બનાવેલ સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ તેમજ વ્યસનથી દૂર રહેવા પણ રાજ્યપાલશ્રીએ શીખામણ આપી હતી. આ ઉપરાંત જરૂરિયામંદ વિદ્યાર્થીઓ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી આવી શૈક્ષણિક સંસ્થાઓ ભારતના મજબૂત ભાવીના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપે છે તે બદલ સંસ્થાના વિવિધ સમાજ ઉપયોગી કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિરના કેમ્પસની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો પણ મેળવી હતી.

આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિ અદાણી, અદાણી ફાઉન્ડેશન તેમજ અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વસંત ગઢવી, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતિ શિલિન અદાણી, અદાણી વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ શ્રી ડૉ. શિલ્પા ઈદોરીયા તેમજ અદાણી ફાઉન્ડેશનના, પદાધિકારીઓ, અતિથિગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *