વડોદરા,
વડોદરામાં 9 જુલાઈ, 2025ના રોજ બુધવારે મોટી દુર્ઘટના બની છે. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક તંત્ર અને સ્થાનિકોની મદદથી મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી.
વર્ષ 1981માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1985માં બ્રિજને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રિજ જર્જરીત હોવા છતા બ્રિજ પર વાહનવ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો નહતો અને આજે આ મોટી દુર્ઘટનાનો ભોગ નિર્દોષ લોકો બન્યા છે. દર વર્ષે આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવતું હતું, ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગની જરૂર હોવાનું જણાયું હતું પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહતી.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ઈજાગ્રસ્તોને સરકાર તરફથી 50-50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.

જો કે, બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કરગરતી દેખાઈ હતી.
આ ઘટના બાદ સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.
મૃતકોના નામ:-
1. વખત સિંહ મનુભાઈ જાદવ (35 વર્ષ) રહે. કહાનવા, તા.જંબુસર
2. કાનજીભાઈ મેલાભાઈ માછી (70 વર્ષ) રહે.ગંભીરા, તા.આણંદ
3. પ્રવીણ લાલજીભાઈ જાદવ (33 વર્ષ) ઉદેવ, ખંભાત
4. રમેશ રાવજીભાઈ પઢીયાર (38 વર્ષ) મુજપુર, પાદરા
5. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર (40 વર્ષ) હર્ષદપુરા, મજાતણ, પાદરા
6. નૈતિક રમેશભાઈ પઢીયાર (2 વર્ષ) મુજપુર, પાદરા
7. વૈદિકા રમેશભાઈ પઢીયાર (6 વર્ષ) મુજપુર, પાદરા
8. રાજેશ ઈશ્વર ચાવડા (26 વર્ષ) દેવાણ, તા.આકલાવ
9. પર્વત ભગવાનભાઈ વાગડિયા (20 વર્ષ) સરસવા, મહીસાગર ઉત્તર
10. જશભાઈ શંકરભાઈ હરીજન (65 વર્ષ) ગંભીરા, આંકલાવ
ઇજાગ્રસ્તોના નામ:-
1. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર (45 વર્ષ) દેહગામ, ગાંધીનગર
2. ગણપતસિંહ માનસિંહ રાજપુત (40 વર્ષ) રાજસ્થાન
3. રાજુભાઈ દોડાભાઈ (30 વર્ષ) દ્વારકા, નાની શિરડી
4. સોનલબેન રમેશભાઈ પઢિયાર (35 વર્ષ) મુજપુર,પાદરા
5. અરવિંદભાઈ મહીજીભાઈ પરમાર – મજાતણ, પાદરા
6. દિલીપભાઈ રામસિંહ પઢિયાર (35 વર્ષ), નાની શેરડી

મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ, 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બ્રિજના પિલરોમાં ખામી સર્જાઈ છે, બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં, તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

