ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા હિમાચલ પ્રદેશના ખેડૂતોને મળ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન

સોશિયલ મીડિયા પર શેર કરો

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક એક પ્રાદેશિક સંગોષ્ઠિમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

સંગોષ્ઠિમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર વૈકલ્પિક કૃષિ પદ્ધતિ નથી, પરંતુ તે ભારતના ખેડૂતોની સમૃદ્ધિ, સમાજના આરોગ્ય, પર્યાવરણના સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસ માટેનો આધારસ્તંભ છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી માટે ચાલી રહેલા વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું કે, હિમાચલનું હવામાન, જમીનની રચના અને મર્યાદિત ખેતીલાયક જમીન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે અત્યંત અનુકૂળ છે.

શ્રી દેવવ્રતજીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે, તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત અનાજ અને શાકભાજી ઉત્તમ ગુણવત્તાવાળું હોય છે. ખેડૂતોની આવક વધે છે અને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો – જેવા કે ભૂગર્ભજળનું પ્રદૂષણ, પશુઓ પર દુષ્પ્રભાવ અને માનવ આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના નાગરિકો અને ખેડૂતભાઈઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના આવક અને આરોગ્યમાં સુધારો તો કરી જ રહ્યાં છે, પરંતુ સમગ્ર રાષ્ટ્રને નવી દિશા પણ આપી રહ્યાં છે. તેમણે આ સંગોષ્ઠિના સફળ આયોજન માટે ઝંડૂતાના ધારાસભ્ય શ્રી જીતરામ કટવાલ, સાઈ ઈટરનલ ફાઉન્ડેશન, માનવ વિકાસ સંસ્થાન તથા સંબંધિત વિભાગો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને વિશેષરૂપે ખેડૂત ભાઈઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાકૃતિક કૃષિ પર પ્રાદેશિક સંગોષ્ઠિમાં હિમાચલ પ્રદેશના ટેકનિકલ શિક્ષણ અને નગર યોજનામંત્રી શ્રી રાજેશ ધર્માણી, પૂર્વ મુખ્યમંત્રી અને પ્રતિપક્ષના નેતા શ્રી જયરામ ઠાકુર, ઝંડૂતાના ધારાસભ્ય શ્રી જીતરામ કટવાલ, શ્રી નૈનાદેવીજીના ધારાસભ્ય શ્રી રણધીર શર્મા, સદર બિલાસપુરના ધારાસભ્ય શ્રી ત્રિલોક જામવાલ, ઘુમારવીના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ગર્ગ, પદ્મશ્રી નેકરામ શર્મા, પદ્મશ્રી હરિમન શર્મા, માનવ વિકાસ સંસ્થાનના ડિરેક્ટર શ્રી રસમસિંહ ચંદેલ, સાઈ ઈટરનલ ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય શ્રી રાજકુમાર વર્મા સહિત હિમાચલના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી અને પ્રાકૃતિક ખેતીના સમર્થનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.

શ્રી આચાર્ય દેવવ્રતજી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે વર્ષ 2018માં હિમાચલ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી – સુખી ખેડૂત યોજનાનો આરંભ ₹25 કરોડના બજેટ સાથે કરવામાં આવ્યો હતો. આજે આ યોજના હેઠળ 3,584 ગ્રામ પંચાયતોમાં 2,15,000થી વધુ ખેડૂતો લગભગ 38,000 હેક્ટર જમીન પર રાસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.

વર્ષ 2018માં હિમાચલ પ્રદેશ સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ટાસ્કફોર્સની રચના કરી હતી. ખેડૂતોને જાગૃત કરવા માટે રાષ્ટ્રીય સ્તરની સંગોષ્ઠિઓ યોજાઈ હતી. આ અભિયાનને નીતિ સ્તરે મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ એપેક્સ કમિટી રચવામાં આવી હતી. તેમજ જિલ્લા સ્તરે ક્લસ્ટર રચના હાથ ધરવામાં આવી.

કેન્દ્ર સરકારની નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ યોજના હેઠળ કુલ ખર્ચનો 80% ભાગ કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનને ભારતીય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ (BPKP) અને ATMA Project સાથે સંકલન કરી આગળ ધપાવવામાં આવી રહ્યું છે.

ઉપસ્થિત મહેમાનો દ્વારા હિમાચલ પ્રદેશને પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય મોડલ તરીકે સ્થાપિત કરવા માટેના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી અને પ્રાકૃતિક ખેતી મિશનને જનઆંદોલન રૂપે આગળ વધારવા માટે હાકલ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *