ગાઝા,
છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે ગાઝા અને લેબેનોન પર ભયંકર હુમલાઓ કર્યા છે જેમાં 51 લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મહત્વનું છે કે, આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે, અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 52000ને પાર પહોંચી ગઇ છે.

ગાઝાની આ સ્થિતિ વચ્ચે ઇઝરાયેલ દ્વારા ગાઝા અને લેબેનોન પર ફરી હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા હમાસ અને અન્ય આતંકી સંગઠનોના વિવિધ સ્થળોને નિશાન બનાવી કરાયા હતા. જેમાં કુલ ૫૫થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ખાસ કરીને બૈરુતમાં હાલ મોટાપાયે ઇઝરાયેલ એર સ્ટ્રાઇક કરી રહ્યું છે.
હમાસે ઇઝરાયેલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા, જેમાંથી હજુ પણ કેટલાકને છોડવામાં નથી આવ્યા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા. જોકે હમાસે બાકી રહેલા બંધકોને ના છોડતા હવે ઇઝરાયેલે આ કરારોનો ભંગ કરીને ફરી હુમલા શરૂ કરી દીધા છે. એક તરફ ગાઝા પર હવાઇ હુમલા બીજી તરફ ગાઝામાં પુરો પડાતો સપ્લાય પુરવઠો ઇઝરાયેલે છેલ્લા બે મહિનાથી અટકાવી રાખ્યો છે જેને પગલે હાલ ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના અનેક લોકો ભુખમરાના ભરડામાં આવી રહ્યા છે. ગાઝામાં મદદ પહોંચાડનારી સંસ્થાઓનું કહેવું છે કે હાલ ગાઝામાં અનાજ સહિતની ખાધ્ય સામગ્રી અંતિમ સ્થિતિમાં છે તેથી વધુ પુરવઠાની જરૂર પડશે.
આ મામલે હમાસે ઇઝરાયલ સામે શરત મુકી છે કે ઇઝરાયેલના બાકીના 59 બંધકોને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે પેલેસ્ટાઇનના બાકી કેદીઓને ઇઝરાયેલ દ્વારા છોડવામાં આવે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે પહેલો હુમલો કર્યો હતો ત્યારથી ઇઝરાયેલ સાથે યુદ્ધની સ્થિતિમાં છે. ખાન યુનિસ શહેરમાં શરણાર્થીઓના કેમ્પોમાં રહેતી મરીયમ અને તેની સાસુએ શુક્રવારે એક પ્લેટ ચોખા અને થોડા ગાજર એક તપેલીમાં બોઇલ કર્યા હતા, આટલા ભોજનમાં પરિવારના ૧૧ લોકોને ખવડાવવામાં આવ્યું હતું, રાહત કેમ્પોના આવા કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે હાલ ગાઝામાં રહેલા બાકી લોકોની શું સ્થિતિ છે.