ગાંધીનગર/નર્મદા,
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના અગ્રણી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને અલવિદા કહી દીધું છે. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ મોટું નિવેદન આપીને કેટલાક આક્ષેપો કર્યા છે.
ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, ‘ભાજપમાં કામને ન્યાય નથી મળતો.’ જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેઓ છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા. વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઇ હતી. મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા ખુદ બીટીપી પાર્ટીના સ્થાપક છે. જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમને આ વાત જાણી મોટો આંચકો લાગ્યો હતો. ભાજપમાં જોડાતી વખતે જ્યારે મહેશ વસાવાને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તો તેમણે બહુ શાનથી કહ્યું હતું કે, ‘આખી દુનિયા ભાજપમાં જાય છે તો મારા ભાજપમાં જવા સામે કયો વાંધો પડી શકે.’ હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે ભાજપમાં મારા કામને કોઈ ન્યાય મળતો નથી.

ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લાઓના દિગ્ગજ નેતા છે છોટુ વસાવા. આદિવાસીઓના અગ્રણી નેતા ગણાતા છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. મહેશ વસાવા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2024માં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો હાથ પકડીને ભાજપમાં પ્રવેશ્યા હતા. મહેશ વસાવાને પોતાના કામને ન્યાય ન મળતો હોવાની લાગણી અનુભવાઈ હતી. તેમણે ભાજપમાં અહંકાર વ્યાપેલો હોવાનું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારો હજૂ પણ વિકાસથી વંચિત છે. ભાજપની વિચારધારાને લીધે ભાજપ છોડવી પડી હોવાનું મહેશ વસાવા જણાવે છે.