દેવભૂમિ દ્વારકા,
દર વર્ષે હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી ભગવાનના દર્શનાર્થે જતા હોય છે. આગામી હોળી-ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, 14 માર્ચ, 2025ના રોજ શુક્રવારે ફાગણ સુદ પૂનમના દિવસે દ્વારકા જગત મંદિરમાં હોળી-ફૂલડોલ ઉત્સવ ઊજવાશે. ત્યારે ભગવાનના દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
હોળી-ધૂળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્ત્વ છે, ત્યારે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને જગતમંદિરમાં ભગવાનના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. જેમાં 14 માર્ચ, 2025ના રોજ સવારના 6:00 વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે. આ પછી બપોરના 1:00 વાગ્યે મંદિર બંધ થયા બાદ ફૂલડોલ ઉત્સવ શરૂ થશે. જેમાં 1:30 વાગ્યે આ ઉત્સવની આરતી કરવામાં આવશે, જેના 2:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી 2:30 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જો કે, આ પછી સાંજે નિત્યક્રમ પ્રમાણે ભગવાનના દર્શન અને આરતી કરવામાં આવશે.
હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગતમંદિરમાં આયોજિત ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવિકો દ્વારા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ભક્તિ, સેવા, સુરક્ષાનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે. તેવામાં અકસ્માતની ઘટના ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.