ગુજરાતની લોક અદાલતના ઇતિહાસનું સર્વ શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું

સોશિયલ મીડિયા પર શેર કરો

નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ છે. તેમાં 13.2 લાખ કેસમાંથી 7.3 લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો છે. આશરે રૂપિયા 2 હજાર 743 કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. કુલ 4 લાખ 37 હજાર પ્રિ-લિટીગેશન કેસમાં સમાધાન થયુ છે. જેમાં રૂપિયા 75.39 કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. ઇ-ચલણના 3 લાખ 80 હજાર કેસમાં 18 કરોડની વસૂલી કરાઈ છે.

લોક અદાલતમાં ગુજરાત રાજ્યની અભૂતપૂર્વ સફળતા મળી છે. અદાલતોમાં હજારો કેસ પેન્ડિંગ પડ્યાં છે, જે મામલે સુનાવણીઓ બાકી છે પરંતુ લોક અદાલતમાં ગુજરાત રાજ્યને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.

નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરાયુ હતુ. જેમાં આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા દાવાઓનો સમાધાન કરી વલણથી નિકાલ કરાયો છે. તેમજ દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો અંગેના કેસો પણ મુકાયા છે. જેમાં 13, 02,486 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. તેમાં 7, 03, 517 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે.

લોક અદાલતના કેસોમાં દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવના માર્ગદર્શનમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગયા વર્ષે પણ રાજ્યભરમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3004 તકરારોનો અંત આવ્યો હતો. 2024ના વર્ષની છેલ્લી લોક અદાલતમાં દસ વર્ષ કે તેથી જુનાં 1,296 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024 માં કુલ ચાર લોક અદાલત યોજાઈ હતી. જેમાં કુલ 21,61,048 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, લોક અદાલતો થકી અત્યાર સુધીમાં અનેક કેસોનો સુખદ અંત આવ્યો છે. જે લોકો માટે સારી વાત છે. આ સાથે ગુજરાત માટે પણ આ અભૂતપૂર્વ અને ગૌરવની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *