બલુચિસ્તાનમાં પાક. સરકાર અને સેના સામે બળવો બન્યો વધુ ઉગ્ર 

સોશિયલ મીડિયા પર શેર કરો

બલુચિસ્તાન,

સરહદે ભારતીય સેના પાક. સેનાને આક્રામક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાક.ના સુરક્ષા દળોની ચેક પોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો છે. જ્યારે બલુચિસ્તાનમાં હજારો લોકો પાક.થી મૂક્તિ માટે રસ્તા પર ઉતર્યા હતા અને પાક. સેના-સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. 

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, બલુચિસ્તાનની સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બલૂચ લેખક મીર યાર બલોચે કરી છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખી છે અને બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી છે. બલૂચ લેખક મીર યાર બલોચે બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી અને સંયુક્ત રાષ્ટ્રને તેનું શાંતિ મિશન મોકલવાની માંગ કરી. આ સાથે તેમણે દિલ્હીમાં ભારત પાસેથી પોતાના માટે એક દૂતાવાસની પણ માંગણી કરી છે.

મીર યાર બલોચે આગળ લખ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનના લોકશાહી પ્રજાસત્તાકની સ્વતંત્રતાને માન્યતા આપવા અને માન્યતા માટે સમર્થન આપવા માટે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની બેઠક બોલાવવા વિનંતી કરીએ છીએ. ચલણ અને પાસપોર્ટ છાપવા માટે અબજો ડોલર જાહેર કરવામાં આવે. અમે સંયુક્ત રાષ્ટ્રને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક બલુચિસ્તાનમાં પોતાનું શાંતિ રક્ષા મિશન મોકલે અને પાકિસ્તાન કબજા હેઠળની સેનાને બલુચિસ્તાનના પ્રદેશો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા અને બલુચિસ્તાનમાં તમામ શસ્ત્રો અને સંપત્તિ છોડી દેવા કહે.

આર્મી, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ, મિલિટરી ઇન્ટેલિજન્સ, ISI અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના તમામ બિન-બલોચ કર્મચારીઓએ તાત્કાલિક બલુચિસ્તાન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાન રાજ્યની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક સંક્રમણકારી નિર્ણાયક વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે.

બલુચિસ્તાનની રાજધાની કોટામાં હજારગંજી તેમજ ફૈઝાબાદમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને બળવાખોરોએ ગ્રેનેડ હુમલાથી ઉડાવી દીધી હતી. જ્યારે પંજગુરના વાશબોદ વિસ્તારમાં ચીન-પાકિસ્તાનના બિઝનેસ કોરિડોરના હાઇવેને બળવાખોરોએ જામ કરી દીધો હતો. હથિયારધારી બળવાખોરોએ હાઇવે બંધ કરીને પાક. પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા.  બે પોલીસ વાહનોને જપ્ત કરી લીધા હતા. આ વાહનોમાં જે હથિયારો હતા તેને જપ્ત કરી લીધા હતા. જ્યારે બોનિસ્તાન વિસ્તારની એક ચેકપોસ્ટ પર બળવાખોરોએ કબજો કરી લીધો હતો. 

તાજેતરમાં જ હૌશાબ જિલ્લામાં એક મોટો સશસ્ત્ર બળવો થયો હતો, જેમાં બળવાખોરોએ સમગ્ર વિસ્તારનું નિયંત્રણ પોતાના હાથમાં લઇ લીધુ હતું. એનએડીઆર કાર્યાલય અને લેવિજ સ્ટેશનને સળગાવી દીધુ હતું. આ ઉપરાંત એમ૮ પાક.-ચીન બિઝનેસ કોરિડોર હાઇવે પર નાકાબંધી શરૂ કરી દીધી હતી અને 10 બહારના લોકોને બંધક બનાવી લીધા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાક.માં ૩૯ સ્થળોએ હુમલા કર્યા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા ઝિયાંદ બલોચ દ્વારા જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે કુલ 39 સ્થળોએ હુમલા કર્યા છે. જ્યારે બલુચિસ્તાનના પત્રકાર મિર યાર બલોચે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં હજારો બલુચિસ્તાનીઓ રસ્તા પર દેખાયા હતા, આ લોકોએ અલગ બલુચિસ્તાન દેશની સ્થાપનાની માગણી સાથે રેલી કાઢી હતી. જેને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલોચિસ્તાન નામ આપ્યું હતું. આ બેનર હેઠળ હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *