પાલનપુર,
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલ્વે કવાર્ટરના રસ્તાની માંગને લઇ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિધ્યા માર્ગે વળ્યાં હતા જેમાં પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક ભૂખ હડતાલની શરૂઆત કરી છે. તો સાથે જ જો આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આપણે અનેક વખત રસ્તા, પાણી, અને ગ્રેડ પે તેમજ નોકરીમાં કાયમી કરવાની માંગને લઇ લોકોને આંદોલન કરતા જોયા છે પરંતુ આજે ફરી કર્મચારીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.
પાલનપુરના રામલીલા મેદાન નજીક રેલ્વેના 50 કવાર્ટર આવેલા છે જેમાં રેલ્વેમાં ફરજ બજાવતા કર્મીઓ આ કવાર્ટરમાં આશ્રય મેળવી રહ્યા છે. જો કે વર્ષોથી આ કવાર્ટરને રેલ્વે સ્ટેશનથી જોડતો પાકો માર્ગ આવેલો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર- અમદવાદ વચ્ચે dfcc ના કામને લઇ રેલ્વે સ્ટેશનથી રેલ્વે કવાર્ટરને જોડતો માર્ગ બંધ કરી દેવાયો છે.
મહત્વનું છે કે, લગભગ છેલ્લા 4 વર્ષથી રેલ્વે કવાર્ટરમાં રહેતા લોકો આ માર્ગ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા હતા. સ્થાનિકો દ્વારા અનેક વાર રેલ્વે વિભાગને લેખિત અને મૌખિક રજુઆત કરાઈ પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે રેલ્વે કવાર્ટરમાં રહેતા લોકોએ પોતાના વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોય યુનિયનના નેજા હેઠળ આંદોલનની રણનીતિ બનાવી અને આજથી પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક રસ્તાની માંગને લઇ યુનિયન દ્વારા ભૂખ હડતાલની શરૂઆત કરાઈ છે. આજથી રેલ્વે કવાર્ટરના સ્થાનિકો સહીત યુનિયન લોકો ભૂખ હડતાલમાં પહોંચ્યા અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સાથે સાથે પાલનપુરના પડઘા અમદાવાદ સહીત વેસ્ટર્ન રેલ્વે મંડળમાં પડવાની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવું રહેશે કે રેલ્વે વિભાગ સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી રેલ્વે કર્મીઓ ઉગ્ર આંદોલન કરવા મજબુર બને છે.