પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને અકસ્માત કરાવીને મારી નાખ્યાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી

સોશિયલ મીડિયા પર શેર કરો

જામનગર,

જામનગર-કાલાવડ રોડ પર વિજરખી ગામ પાસે એક ગાડી અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બુલેટ ચાલક યુવાનનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરતાં ગાડી ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ નામનો 30 વર્ષનો યુવાન સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે 27 ડી.જે 9310 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન આશરે છ વાગ્યાના અરસામાં તેની પાછળ આવી રહેલી જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની જીપ કંપનીની એક ગાડી દ્વારા તેઓને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તેમાં બુલેટ ચાલક રવિનું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ મામલે સૌપ્રથમ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં આ અકસ્માતના બનાવમાં શંકા લાગતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા. તેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને શોધી લેવાયો હતો, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી હતી. મોડેથી પોલીસને સમગ્ર પ્રકરણમાં આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

પોતે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચલાવી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું, તેમાં પત્ની રીંકલે જ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળે છે, તે પ્રકારનું લોકેશન આપ્યું હતું, અને જેના લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે ગઈકાલે સાંજે તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. અને આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડથી જામનગર તરફના માર્ગે બુલેટનો પીછો કરીને વિજરખી પાસે મોકો ગોતી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઇ છે, અને મૃતકની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું.

આ સમગ્ર બનાવમાં પોલીસે ગાડી કબ્જે કરી લીધી છે, તેમજ મૃતક રવિના પિતા ધીરજભાઈની  ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હત્યા અંગેનો ગુનો નોંધી લીધો છે અને સમગ્ર પ્રકરણમાં હજી વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી કે જેણે પ્રેમમાં અંધ બની ગયા બાદ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. રીંકલના પ્રેમ સંબંધના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડા બાદ છુટાછેડા અપાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *