તાપી નદી બે કાંઠે: ઉકાઈ ડેમની સપાટી 334.45 ફૂટ; ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા

સોશિયલ મીડિયા પર શેર કરો

તાપી,

મેઘરાજા ના બીજા રાઉન્ડની શરૂઆત થતા સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેના કરને ડેમો માં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ છે. રાજ્યના બીજા સૌથી મોટા કહેવાતા ઉકાઈ ડેમની જળસપાટી રૂલ લેવલની નજીક પહોંચતાં ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 334.45 ફૂટ પર પહોંચી છે, જે ચાલુ મહિનાના રૂલ લેવલ 335 ફૂટની નજીક અને ભયજનક સપાટી 345 ફૂટથી નીચે છે. ઉપરવાસમાંથી 66,000 ક્યુસેક પાણીની આવક નોંધાતાં ડેમની જળસપાટી જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ઉપરવાસના વિસ્તારોમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. હાલ 66,000 ક્યુસેક પાણીની આવક છે, અને રૂલ લેવલ જાળવવા માટે અમે 75,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. આ પાણીનો ઉપયોગ હાઈડ્રો પાવર જનરેશન અને સિંચાઈ માટે પણ થઈ રહ્યો છે.”

ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં તાપી નદીના કિનારે આવેલા ગામો અને સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા (SMC) અને જિલ્લા વહીવટી તંત્રે પૂરની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. SMCના એક અધિકારીએ જણાવ્યું, “હાલના ડિસ્ચાર્જ રેટથી શહેરમાં તાત્કાલિક પૂરનું જોખમ નથી, પરંતુ અમે નદીની જળસપાટી પર સતત નજર રાખી રહ્યા છીએ. આવશ્યકતા પડે તો શેલ્ટર હોમ્સ અને બચાવ ટીમો તૈયાર છે.”

ઉકાઈ ડેમ, જેને વલ્લભ સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે, તાપી નદી પર 1972માં બાંધવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું બીજું સૌથી મોટું જળાશય છે. આ ડેમ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે ઉપયોગી છે. તેની કુલ સંગ્રહ ક્ષમતા 7,414.29 મિલિયન ક્યુબિક મીટર (MCM) છે, અને તેના ચાર હાઈડ્રો ટર્બાઈન યુનિટ દ્વારા 300 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે.

ઉપરવાસમાં વરસાદ પડે તો સ્થિતિ વણસી શકે

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાથી તાપી નદીમાં પાણીનું સ્તર વધવાની સંભાવના છે, જેના કારણે સુરત અને આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ રહે છે. 2006માં ઉકાઈ ડેમમાંથી 9 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે સુરત શહેરનો 80% વિસ્તાર ડૂબી ગયો હતો અને 150થી વધુ લોકોના મોત થયા હતા. આવી સ્થિતિ ટાળવા માટે વહીવટી તંત્ર હાલ સતર્ક છે અને નદીકાંઠાના ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ડેમના અધિકારીઓએ જણાવ્યું કે ઉપરવાસમાં વરસાદની સ્થિતિ અને પાણીની આવકના આધારે ડેમની જળસપાટી અને દરવાજાની ઊંચાઈ નક્કી કરવામાં આવશે. જો પાણીની આવક વધશે, તો નદીમાં વધુ પાણી છોડવું પડી શકે છે, જેના કારણે સુરત અને આસપાસના વિસ્તારોમાં વધુ સાવચેતીની જરૂર પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઉપરવાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે, જે ડેમની સ્થિતિ પર અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *