વેરાવળ,
આ વર્ષે વેરાવળ બંદર પર માછીમારી સિઝનની શરૂઆતમાં જ ખરાબ હવામાનના કારણે માછીમાર સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે. એક ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં 1 માછીમારનું મોત થયું છે જ્યારે અન્ય એક માછીમાર હજુ લાપતા છે.
ભીડીયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશ ડાલકીના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી કોરોનાકાળ બાદ માછીમારી વ્યવસાય સતત સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. માછીમારોને ફિશિંગ બોટ શરૂ કરતા પહેલા ડીઝલ, રાશન અને બરફ માટે 5 થી 7 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આ રકમ મોટાભાગે લોન કે વ્યાજે લેવામાં આવે છે.
આ બાબતે માછીમાર આગેવાન પરેશ કોટિયાએ માગણી કરી છે કે, રાજ્ય સરકારે ફિશિંગ બોટને વીમા કવચ હેઠળ આવરી લેવી જોઈએ. જ્યારે બોટ સંપૂર્ણપણે નષ્ટ થાય છે, ત્યારે માછીમારોની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઉભો થાય છે.
વધુમાં ભીડીયા કોળી સમાજના અગ્રણી મનોજ સોલંકીએ જણાવ્યું કે, નુકસાનીના કારણે અનેક માછીમારો છકડા, રિક્ષા ચલાવવા અને મજૂરી કરવા મજબૂર બન્યા છે, ઘણા માછીમારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. માછીમાર સમુદાયની માગણી છે કે જેમ જમીન પરના ખેડૂતોને સરકાર મદદ કરે છે, તેમ સાગરખેડુ માછીમારોને પણ સહાય પેકેજ આપવામાં આવે.

