અમેરિકામાં આવેલ ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક ખુબજ મોટી અને મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દૂતાવાસે અમેરિકામાં ભારતીયો દ્વારા વધતા ઇમિગ્રેશન ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરી છે કે, ‘અમેરિકામાં વિઝાની મુદતથી વધુ સમય રોકાવું એ એક ગંભીર ગુનો છે જે ફક્ત દેશનિકાલનું જોખમ જ નહીં પરંતુ ભવિષ્યમાં અમેરિકાની મુલાકાતો પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.’
આ બાબતે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી ચેતવણી આપી કે, ‘જો તમે તમારા અધિકૃત સમયગાળા કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેશો, તો તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં અમેરિકાની મુસાફરી પર કાયમી પ્રતિબંધ પણ મૂકવામાં આવી શકે છે.’
અમેરિકાના ઇમિગ્રેશન નિયમો મુજબ, દરેક વિદેશી નાગરિકને USCIS (યુનાઇટેડ નેશન્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ) દ્વારા આપવામાં આવેલા અધિકૃત સમયગાળા માટે જ અમેરિકામાં રહેવાની મંજૂરી હોય છે. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સુધી અમેરિકામાં રહે છે, તો તેને આઉટ-ઓફ-સ્ટેટસ ગણવામાં આવે છે અને તેના પર 10 વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ મામલે માન્ય વિઝા હોવો પૂરતો નથી – ફક્ત I-94 ફોર્મ પર સૂચિબદ્ધ પ્રવેશની છેલ્લી તારીખ કાયદેસર રીતે માન્ય છે.
મહત્વનું છે કે, અમેરિકાની ઇમિગ્રેશન અને બોર્ડર સિક્યુરિટી એજન્સીઓ (ICE, CBP) દ્વારા ઘણા ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક કિસ્સામાં, ભારતથી અમેરિકા આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવે છે કારણ કે તેમની પાસે સાચા દસ્તાવેજો હોતા નથી અથવા તેમના દ્વારા અગાઉ વિઝા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.