વોશિંગ્ટન,
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવમાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. અમેરિકાએ પાકિસ્તાનમાં સ્થિત પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાનો આદેશ આપ્યો છે. લાહોર સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને આશ્રયસ્થાનમાં જ રહેવાનો નિર્દેશ આપ્યો છે.
અમેરિકી સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશ મુજબ, લાહોરમાં અમેરિકન કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. કોમ્સ્યુલેટને પ્રારંભિક માહિતી મળી છે કે, લાહોરના મુખ્ય એરપોર્ટ પાસેના કેટલાક વિસ્તારો ખાલી કરવામાં આવી રહ્યા છે, તેથી અમેરિકન નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે નીકળી જવાનો આદેશ અપાયો છે. જો તેઓ ઘર્ષણવાળા સ્થળો પર સુરક્ષિત ન હોય તો તેમણે અન્ય સ્થળે ખસી જવા કહેવાયું છે.
તેમજ પાકિસ્તાન સ્થિત અમેરિકન એમ્બેસીએ પાકિસ્તાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને એલર્ટ રહેવા તેમજ સુરક્ષિત સ્થળે જતા રહેવાની સલાહ આપી છે. અમેરિકાએ અપડેટની માહિતી મેવવા માટે સ્થાનિક મીડિયા પર નજર રાખવા, ઓળખપત્ર સાથે રાખવા અને અધિકારીઓને સહકાર આપવા સૂચના આપી છે.