ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલ દુઃખદ અને નિર્દય આતંકી હુમલા બાદ અમેરિકાની સરકારે તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં અમેરિકી તંત્ર દ્વારા પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ આપવામાં આવી હતી અને ખાસ કરીને સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ આપી છે.
ભારતમાં અમેરિકી દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોની સત્તાવાર વેબસાઈટ પર જાહેર એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકી હુમલો અને હિંસક નાગરિક અશાંતિ સંભવ છે. આ ક્ષેત્રમાં નાની-મોટી હિંસા થતી રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે LOC પર આ પ્રકારની હિંસા થવી સામાન્ય છે. આ હિંસા કાશ્મીર ખીણના પર્યટન સ્થળો શ્રીનગર, ગુલમર્ગ, અને પહલગામમાં થાય છે. ભારત સરકાર LoCની સાથે અમુક ક્ષેત્રોમાં વિદેશી પર્યટકોને જવાની મંજૂરી આપતી નથી.
તેમજ અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતના કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ આતંકી હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતાં. સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાના કારણે ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. આને ધ્યાનમાં રાખીને, અમેરિકન નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવે છે. અમેરિકાના સરકારી કર્મચારીઓ પર પણ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.