અંબાજી ભાદરવી પૂનમનાં મહામેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન

સોશિયલ મીડિયા પર શેર કરો

પાલનપુર,

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો ભારત સરકારના કાર્યક્રમો, યોજનાઓ અને પહેલો વિશે જાગૃતિ લાવવાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યો છે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા આ પ્રદર્શનની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ સાથે ટચ ડિસ્પ્લે દ્વારા વિવિધ ક્વીઝ સ્પર્ધાઓ, માઇન્ડ ગેમ્સ તથા સચોટ પ્રત્યાયન જેવી રસપ્રદ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે તેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, પાલનપુર દ્વારા શિક્ષક દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે સમગ્ર ભારતમાં ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગનાં શ્રી અમિતકુમાર બી પટેલ, મહેન્દ્રભાઈ બેગડિયા તેમજ જનક ઉપાધ્યાય દ્વારા બાળકો સાથે શિક્ષણને લગતી રસપ્રદ બાબતોની ચર્ચા કરી હતી. સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની માહિતી પણ આપી હતી. આ પ્રદર્શનમાં દર્શાવેલા વિવિધ વિષયો બાબતે બાળકો સાથે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી, દાંતા, જિલ્લા પંચાયત, બનાસકાંઠા દ્વારા પ્રદર્શનનાં પ્રથમ દિવસથી પોષણ અભિયાનની વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સર્વાંગી પોષણની થીમ આધારે બાળ ગીતો, પોષણની વિવિધ કૃતિઓનું પ્રદર્શન તેમજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પૂર્ણા યોજનાના પ્રચાર પ્રસાર માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂર્ણા કીટનું નિદર્શન અને 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓને આ યોજના અંતર્ગત આપવામાં આવતા લાભ, સરકાર દ્વારા આપવામાં આવતા ટેક હોમ રાશનના પૂર્ણા શક્તિના પેકેટના ઉપયોગ વિશે સમજણ, કિશોરીમાં એનિમિયા નિયંત્રણ,  આરોગ્ય તપાસ, જીવન કૌશલ્યો, વ્યસન મુક્તિ અને બાળ લગ્ન જેવા વિષયો પર કિશોરીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેની જાણકારી આપવામાં આવી હતી. શાળાએ ન જતી કિશોરીઓને શાળામાં પુનઃ પ્રવેશ અને આઈ.ટી.આઈ.નાં અભ્યાસક્રમ દ્વારા પગભર બનવા  માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ વિશે વધુ માહિતી આપતા પાલનપુરના અધિકારી શ્રી જે. ડી ચૌધરીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના અમૃતકાળ વિશેના મલ્ટીમીડિયા પ્રદર્શનનાં ડિજિટલ આકર્ષણો સાથે શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં જોડાય એ માટે આકર્ષક સાહિત્ય, રમતો તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં આ પાંચ પાંચ દિવસીય કાર્યક્રમમાં શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર માટી ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિષય ઉપર મનોરંજક નાટકો પણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતી ફિલ્મોનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આવા વિવિધ કાર્યક્રમો દ્વારા આગામી દિવસોમાં પણ વધુમાં વધુ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંબાજી મેળામાં આવતા તમામ લોકોને મળી રહે એ માટે આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *